બસ.. દુર્દશાનો એટલો આભાર હોય છે June 7, 2008
Posted by Mehul Shah in ગઝલ, જગજીત સિંઘ, મરીઝ.trackback
સાંભળો..બસ.. દુર્દશાનો એટલો આભાર હોય છે
બસ, દુર્દશાનો એટલો આભાર હોય છે,
જેને મળું છું, મુજથી સમજદાર હોય છે.
ઝંખે મિલનને કોણ જો એની મજા કહું !
તારો જે દૂરદૂરથી સહકાર હોય છે.
ટોળે વળે છે કોઈની દિવાનગી ઉપર,
દુનિયાના લોક કેવા મિલનસાર હોય છે.
દાવો અલગ છે પ્રેમનો દુનિયાની રીતથી,
એ ચૂપ રહે છે જેને અધિકાર હોય છે.
કાયમ જો રહી જાય તો પેગંબરી મળે,
દિલમાં જે એક દર્દ કોઈ વાર હોય છે.
હો કોઈ પણ દિશામાં બુલંદી નથી જતી,
આકાશ જેમ જેઓ નિરાધાર હોય છે.
નિષ્ફળ પ્રણય પણ એને મટાડી નથી શકતો,
તારા ભણી જે મમતા લગાતાર હોય છે.
જો એ ખબર પડે તો મજા કેટલી પડે,
ઈશ્વર જગતમાં કોનો તરફદાર હોય છે.
જાણે છે સૌ ગરીબ કે વસ્તુ બધી ‘મરીઝ’,
ઈશ્વરથી પણ વિશેષ નિરાકાર હોય છે.
કવિઃ મરીઝ
સ્વર: જગજીત સિંઘ
મરીઝને સૌને ગમતી
જો એ ખબર પડે તો મજા કેટલી પડે,
ઈશ્વર જગતમાં કોનો તરફદાર હોય છે.
જાણે છે સૌ ગરીબ કે વસ્તુ બધી ‘મરીઝ’,
ઈશ્વરથી પણ વિશેષ નિરાકાર હોય છે.
સરસ ગાયકી
મઝા જ મઝા